૮૨ વર્ષની વયે પીએચડીની ડિગ્રી મેળવી બાળપણમાં જોયેલું ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું
૮૨ વર્ષની વયે પીએચડીની ડિગ્રી મેળવી બાળપણમાં જોયેલું ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું
Blog Article
“મારે બીજા લોકોની જેમ આ ઉંમરે નકારાત્મકતાના સહારે નથી રહેવું, દુનિયા ખૂબ સુંદર છે અને મારે આ સુંદર દુનિયામાં મન ભરીને જીવવું છે!” આ શબ્દો છે 82 વર્ષની ઉંમરે પણ યુવાન મનોવસ્થા ધરાવતાં રમીલાબહેન શુક્લાના, જેમણે તાજેતરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં સ્ટેજ પરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં PhDની પદવી પ્રાપ્ત કરી છે. આટલી જૈફ વયે અભ્યાસ કરીને ઉચ્ચ પદવી પ્રાપ્ત કરનારા રમીલાબહેનને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત અને આનંદિત થયા હતા. આનંદ અને આશ્ચર્ય વ્યક્ત કરનારાઓમાં ઉચ્ચ શિક્ષણ પ્રધાન ઋષિકેશ પટેલ અને રાજ્ય પ્રધાન પ્રફુલ પાનશેરિયા પણ સામેલ હતા!
ભારતની આઝાદી પહેલા એટલે કે, વર્ષ 1943માં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં જન્મેલા રમીલાબહેન સ્વભાવે પહેલેથી જ ખૂબ મહેનતુ હતા. લગ્ન પહેલા વર્ષ 1965માં તેમણે અમદાવાદની એમ.જી. સાયન્સ કોલેજમાંથી બેચલર ઓફ સાયન્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. પોતાની જિંદગીના 70 દાયકા પસાર કર્યા પછી રમીલાબહેને પોતાની આગળ વધારે ભણવાની ઈચ્છાથી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં વર્ષ 2016માં ગુજરાતી વિષયમાં માસ્ટર ઓફ આર્ટ્સના કોર્સ માટે એડમિશન લીધું. જે ઉંમરમાં લોકો જિંદગીથી થાકીને આરામ અને કામ વગર રહેવાનું પસંદ કરે છે તે ઉંમરમાં રમીલાબહેને ગુજરાતી વિષય સાથે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવા માટે ઝંપલાવી દીધું.
રમીલાબહેનનું કિશોરાવસ્થાનું સ્વપ્ન હતું કે તેઓ ખૂબ જ ભણે. ભણવું વાંચવું અને વિચારવું એ રમીલાબહેનની ગમતી પ્રવૃત્તિઓ છે. 71 વર્ષની ઉંમરે તેમને એવું લાગ્યું કે હવે સંસારની બધી જવાબદારી તેમણે નિભાવી લીધી છે અને તેમની સહ ઉંમરના લોકો જોડેથી જિંદગી માટે જેવી નકારાત્મક વાતો તેઓ સાંભળે છે, તેવી જિંદગી તેમને નથી જીવવી. આ જ ધગશ સાથે વર્ષ 2016માં મહેનત કરીને તેઓએ 73 વર્ષની ઉંમરે MAની ડિગ્રી પ્રાપ્ત કરી. રમીલાબહેન અને તેમના કુટુંબ માટે આ એક ગર્વની વાત હતી.